મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, પાણીની વેલ્યુ સમજીને આવનારા સમય માટે પાણી બચાવવું એ સૌની નૈતિક ફરજ છે.
એટલું જ નહિ, ઓછા પાણીએ વધુ ખેતી અને સિંચાઇ માટે ડ્રીપ ઇરીગેશન-ટપક સિંચાઇનો વ્યાપ વધારી હરિયાળી ક્રાંતિ વેગવંતી બનાવવા પણ તેમણે આહવાન કર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા ગાંધીનગરમાં અભિવાદન કરવામાં આવ્યું તેનો પ્રતિસાદ તેમણે આ પ્રેરક આહવાનથી આપ્યો હતો.
રાજ્યના બધા જ ૩૩ જિલ્લાઓની અંદાજે ર૮૬ ઉપરાંતની ઉદ્દવહન પિયત સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ આ અભિવાદનમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે લિફટ ઇરીગેશન તથા ડ્રીપ ઇરીગેશન સહિત ઉદ્દવહન પિયત સહકારી મંડળીઓ માટે જે ઉદાત્ત અભિગમ સિંચાઇ યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની ઓછી સુવિધા વાળા વિસ્તારોમાં સિંચાઇ સુવિધા વધારવા, માળખાકીય સુવિધા ઊભી કરવા અંગે દાખવ્યો છે તે અંગે ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત અને ભારતે વિશ્વમાં વિકાસની આગવી ઓળખ ઊભી કરી છે. ‘‘આપણે તેનો પૂરો લાભ લઇને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ ના મંત્ર સાથે કર્તવ્યરત રહીએ’’ એવો અનુરોધ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો.
ગુજરાત રાજ્ય ઉદ્દવહન પિયત સહકારી સંઘના અગ્રણીઓ, ચેરમેન શ્રી દેવશીભાઇ, શ્રી હસુભાઇ વગેરેએ રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ અને પ્રોત્સાહન માટે સૌ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.