મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ સૌને અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” રિલોન્ચ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ટ્રાફિક અને રોડ એકસીડન્ટ નિવારવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. સિગ્નલ સિસ્ટમ કે ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિમાં પણ સ્વૈચ્છિક નિયમ પાલન કરી માર્ગ પરિવહનને સુરક્ષિત બનાવવું જોઈએ.
તેમણે કહ્યું કે, રોડ એકસીડન્ટની ઘટનામાં પ્રથમ એક કલાક – ગોલ્ડન અવર ખૂબ અગત્યનો છે, લોકોએ ગુડ સમરિટન બની ઇજાગ્રસ્ત, ઘાયલ લોકોની જિંદગી બચાવવા આગળ આવવું જોઈએ. આપણી સંસ્કૃતિ જીવપ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાનું શીખવે છે. મહામૂલી માનવ જિંદગીના બચાવ માટે આગળ આવવાની ફરજ સૌ કોઈની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે પણ લોકોમાં એવી ગેરસમજ છે કે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડશો તો તેમની ઉપર કોઈ કેસ કે કાર્યવાહી થશે. લોકોની આ માનસિકતાને દૂર કરવામાં માટે જ ગુડ સમરિટન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુડ સમરિટન યોજના એ માત્ર એક યોજના નહિ પરંતુ એક ઝુંબેશ અને આપણા સૌની જવાબદારી છે. શહેરથી લઈને ગામડાઓ સુધીનો દરેક વ્યક્તિ જો આ યોજના અંગે માહિતગાર થશે તો રાજ્યમાં અનેક લોકોના જીવ બચી શકશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રોડ સેફટી અંગે સરકારે ચલાવેલી વિવિધ ઝુંબેશોના પરિણામે ગત કેટલાક વર્ષોમાં આપણા રાજ્યમાં રોડ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સાથે જ અકસ્માતના સમયે લોકોના જીવ બચાવવાનું પણ સરાહનીય કામ થયું છે. આવનાર સમયમાં લોકોના જીવ બચાવવાના આ નેક કામને એક ડગલું આગળ વધારવામાં ગુડ સમરિટન એવૉર્ડ એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રીઓને અનુરોધ કરતા કહ્યું કે, માર્ગ અકસ્માત સમયે ઇજાગ્રસ્તને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડતા હીરોનું રાજ્ય સરકાર તો સન્માન કરશે જ, પરંતુ જિલ્લા સ્તરે પણ આવા હીરોનું જાહેરસ્થળો પર સન્માન કરવામાં આવે તો તે સમાજ માટે પ્રેરણા બનશે. આ સાથે જ લોકોમાં રહેલી ગેરસમજણ દૂર થશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલી ગુડ સમરિટન યોજના પણ સાર્થક બનશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ દ્વારા રોડ સેફટી અંગે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રોડ સેફટી કમિશ્નર શ્રી એલ.પી.પાડલીયાએ ગુડ સમરિટન યોજના અંગે સૌને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદર, આરોગ્ય અગ્ર સચિવ સુશ્રી સાહમીના હુસેન, ગ્રુહ સચિવ શ્રી નિપુણા તોરવણે સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉપરાંત તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.