મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સને ગાંધીનગરમાં સંબોધન કરતાં ગ્રામીણ ક્ષેત્ર સહિત પંચાયતી રાજ વ્યવસ્થાના ત્રણેય સ્તરે નાનામાં નાના માનવીને ગુણવત્તાયુકત સેવા સુવિધા આપીને સરકારની છબિ વધુ ઊજાગર કરવાનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પંચાયતોમાં નાગરિકોને અપાતી પપ જેટલી સેવાઓમાં સરકારે વધુ ૩ર૧ જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવાનું શરૂ કર્યુ છે.
તેમણે ઉમેર્યુ કે, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત તમે સૌ નાનામાં નાની સમસ્યા અને તેના સમાધાન માટે પૂરતી જાણકારી ધરાવતા જ હો છો ત્યારે ‘‘મારૂં છે અને મારે કરવાનું છે’’ના કર્મયોગ ભાવથી લોકસમસ્યા નિવારવી જોઇએ.
એટલું જ નહિ, અરજદાર કે રજૂઆત કર્તાને ઓછામાં ઓછું પેપર વર્ક કરવું પડે, તેની સાથે સૌહાદપૂર્ણ વર્તન વ્યવહારથી તેને સંતોષ થાય તેવી પ્રો-એક્ટિવનેસ પણ જિલ્લાના પંચાયતી વડા અને ટિમ પાસે અપેક્ષિત છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ કામો માટે નાણાંની ઊણપ કે ખોટ રહે નહિ તેવું સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન સરકારે કરેલું છે.
આ નાણાં-ગ્રાન્ટનો પૂરેપૂરો સદુપયોગ લોકહિત વિકાસ કામો માટે થાય તે જોવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસીત ભારતની નેમ સાકાર કરવામાં વિકસીત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા પણ અપિલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પંચાયત વિભાગે પ્રજાહિતના કામોની જે ગતિ ઉપાડી છે અને યોજનાઓ પૂર્ણતા તરફ લઇ ગયા છે તે માટે પણ સૌને બિરદાવ્યા હતા. તેમણે જિલ્લાઓમાં અમૃત સરોવર નિર્માણ, જળસંચયથી જળ સુરક્ષાના કામો તેમજ બેઝિક નીડના કામો અંગે બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું.
મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે સ્ટ્રેટેજિક થીંકીંગથી મોટાં લક્ષ્યાંકો સાથે વિકાસ કામોનું આયોજન, વિકાસના કોઇ પણ કામમાં રાષ્ટ્રની યુનિટી અને ઇન્ટીગ્રીટી ધ્યાને લેવા તાકિદ કરી હતી.
પંચાયત વ્યવસ્થાનું નેટવર્ક વિકાસ કામો અને જનહિત કાર્યોનું જન આંદોલન બને તે માટે ટિમનું નેતૃત્વ જિલ્લા વિકાસ અધિકારીઓ કરે તેવો અનુરોધ મુખ્ય સચિવશ્રીએ કર્યો હતો.
પંચાયત રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખય સચિવ શ્રી વિપૂલ મિત્રા, સચિવો શ્રીમતી સોનલ મિશ્રા, સંદીપકુમાર તેમજ તમામ જિલ્લાઓના વિકાસ અધિકારીઓ આ કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.