અમદાવાદ ફ્લાવર શૉ 2023’ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ફ્લાવર શૉ 2023’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર,હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ,બાર્બી ડોલ જેવા અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રીશ્રી સહિત સૌએ અત્યંત બિરદાવ્યા હતા.

 

આ ઉપરાંત, અમદાવાદ ફ્લાવર શો 2023 માં વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, એકેલીફા, ડાયએન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ , એન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફ્લાવર અને છોડ સહિત ગાર્ડનીંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે અનેરું આકર્ષણ રહેશે.

આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યશ્રીઓ દર્શનાબેન વાઘેલા, અમૂલભાઈ ભટ્ટ, કંચનબેન રાદડીયા, ડૉ. પાયલ કુકરાણી, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ, કૌશિક જૈન, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, કોર્પોરેટરો, AMCના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.