ટેગ લાઇન ‘ડિસ્કસ, ડિબેટ, ડિકન્સ્ટ્રક્ટ’ સાથે, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 7મી આવૃત્તિનો પરંપરાગત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કોવિડ રોગચાળાને 2020માં 5મી આવૃત્તિ સંપૂર્ણ ઓનલાઈન યોજાઈ અને કારણે ઓનલાઈન અને 2021માં 6ઠ્ઠી આવૃત્તિમાં પણ થોડો કાપ મૂકાયો હતો. આ સંપૂર્ણ ભૌતિક આવૃત્તિ સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પણ ઉપલબ્ધ થઇ રહી છે.
ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિષય-લક્ષી સાહિત્ય ઉત્સવમાંના એક તરીકે ગણવામાં આવતા, અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની આ સિઝનની થીમ ‘હ્યુમન્સ, નેચર એન્ડ ધ ફ્યુચર’ છે. થીમનું પ્રતિકાત્મક મનોહર અને પ્રાકૃતિક સ્થળ ‘પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર’, થલતેજ ટેકરા, અમદાવાદ છે.
ફેસ્ટિવલ ડાયરેક્ટર ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે આ વર્ષે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં 80થી વધુ વક્તાઓ પ્રકૃતિ, સંસ્કૃતિ, ગીતો, સાહિત્ય, જીવનચરિત્ર, પ્રાદેશિક સાહિત્ય, સંરક્ષણ વાર્તાઓ, આબોહવા અને જંગલો, મહિલાઓનાં મુદ્દાઓ, બાળ સાહિત્ય, સિનેમા, લોકકથાઓ, કવિતા, નાટક, વિશ્વ સાહિત્ય, આદિવાસી સાહિત્ય અને અન્ય વિષયો પર કેન્દ્રિત ચર્ચામાં ભાગ લઇ રહ્યાં છે. આ ઉપરાંત શ્રોતાઓ માટે પુસ્તક વિમોચન, પુરસ્કારો, પ્રસ્તુતિઓ, અભ્યાસેતર પ્રવૃત્તિઓ, બહુભાષી કવિતાઓ સાથે સંગીતની સાંજ, નાટકો સહિત ઘણું બધું આ ફેસ્ટિવલમાં સમાવિષ્ટ છે.
વક્તાઓમાં સૌથી વધુ ગીતો માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ ધારક, જાણીતા ગીતકાર સમીર અંજાન, હિન્દી ફિલ્મોના અભિનેતા, નિર્માતા અને લેખક તુષાર કપૂર, ભારતના સૌથી યુવા પરમવીર ચક્ર પુરસ્કારથી સમ્માનિત, ‘ધ હીરો ઑફ ટાઈગર હિલ’ના લેખક કેપ્ટન ) યોગેન્દ્ર સિંહ યાદવ, ગુજરાતી લોકસાહિત્યકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, આદિવાસી સાહિત્યના મહાન વિવેચક ડૉ. ભગવાનદાસ પટેલ, ઑસ્ટ્રેલિયન કવિ, લેખક અને મલ્ટી-મીડિયા આર્ટિસ્ટ કેથરીન હ્યુમેલ, આઇરિશ એમ્બેસી મુંબઈના ડેપ્યુટી કોન્સલ જનરલ એલિસન રેલી, ઇમ્ફાલ (મણિપુર)ના યુવા અને પુરસ્કૃત કવિ વાંગથોઇ ખુમાન, આઈ.આઈ.એમ. રોહતકના ડાયરેક્ટર અને લેખક પ્રો. ધીરજ શર્મા, પર્યાવરણીય શિક્ષણકાર અને સમુદાય બિલ્ડર, પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ, મિઝોરમ સરકારના ઓએસડી અને લેખક અજય ચૌધરી આઇપીએસ, કવિ અને અભિનેતા રવિ યાદવ, વરિષ્ઠ પત્રકારો મુકેશ કૌશિક, આદિત્ય કાંત અને નિર્મલ યાદવ, બેસ્ટ સેલર લેખક પ્રસુન રોય, લેખક મૈત્રીદેવી સિસોદિયા, જીએએસ, લેખક ડૉ. હીરા લાલ, આઈએએસ તથા અને ઇજિપ્તના નૃત્ય કલાકાર અને સંશોધક રેવાન અબ્દેલનાસર અટ્ટિયા મુખ્ય છે.
ફેસ્ટિવલના વરિષ્ઠ સલાહકાર ડૉ. એસ.કે. નંદા, આઈએએસ (નિવૃત્ત) એ કહ્યું, “અમે બે પીડાદાયક વર્ષો પછી ફરીથી પ્રત્યક્ષ રૂપે આ ફેસ્ટિવલની ઉજવણી કરતા ખુશી અનુભવીએ છીએ. અમારો ઉદ્દેશ્ય ભારતના અંતરિયાળ વિસ્તારોમાંથી લેખકો અને વક્તાઓને લાવવાનો અને તેમની રચનાત્મક પ્રતિભાને અમારા પ્લેટફોર્મ પરથી વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. અમે સામાન્ય રીતે સંસ્કૃતિ, વારસો, સમાજ, પર્યાવરણ અને માનવીય મુદ્દાઓ પર આધારિત અમારી થીમ્સ પસંદ કરીએ છીએ, જેથી અમારા પ્રેક્ષકોને સમાજની ભલાઈ માટે આ વિષયોને વધુ સારી રીતે સમજવા અને ડીકોડ કરવામાં મદદ મળી રહે.”
આ ફેસ્ટિવલ ‘આઈકોન એજ્યુકેશન ફાઉન્ડેશન’ની પહેલ છે અને તે આઈકોન બારકોડ દ્વારા સંચાલિત છે. 2016માં તેની શરૂઆત થઈ ત્યારથી તેને ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ તરફથી સતત સમર્થન મળી રહ્યું છે. આ એડિશનમાં ‘ટૂરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લિમિટેડ’ સંરક્ષક છે અને GMDC સિલ્વર સ્પોન્સર (Silver Sponsor) છે.