વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓ સાથે શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ગરીબ કલ્યાણ સંમેલનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવિનતા અને દ્રઢનિશ્ચય એમ પાંચ મુખ્યસ્થંભ પર સંકલ્પથી સિદ્ધિની અવિરત યાત્રા ચાલુ રાખી છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતને તો વિકાસની તેજ રફતારને વધુ ગતિએ આગળ લઇ જવામાં કેન્દ્ર અને રાજ્ય એમ ડબલ એન્જીનની સરકારનો લાભ મળી રહ્યો છે. યોજનાઓના સર્વગ્રાહી અમલીકરણથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યુ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારના આઠ વર્ષ દરમિયાન મોદી સરકારે ભારતને નવી દિશા આપી છે, વિકાસના નવા માર્ગો આપ્યા છે. આઠ વર્ષ પછી મોદી સરકાર શ્રદ્ધા, ઊર્જા, આશા, અપેક્ષાનું પ્રતિક બની ગઈ છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે ગરીબોને ટેકો આપ્યો છે, મહિલાઓમાં સુરક્ષા અને સ્વાભિમાનની ભાવના જાગૃત કરી છે. યુવાનોમાં અપાર ઊર્જાનો સંચાર કર્યો છે. ખેડૂતોમાં આત્મવિશ્વાસ જગાડ્યો છે અને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ અને અપેક્ષાઓ વધારી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વડપણની કેન્દ્ર સરકારના આઠ વર્ષની સફળતાઓ વર્ણવતા ઉમેર્યુ હતું.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિ દેશ આખો અનુભવી રહ્યો છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એકવીસમી સદીના ભારતના નવનિર્માણ તરફ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ગરીબોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ સરકાર છે અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે.
ગરીબોની દરેક નાની-મોટી સમસ્યાને દૂર કરવાના મંત્ર સાથે સરકારો કામ કરી રહી છે. સ્વાસ્થ્ય, ગેસ કનેક્શન, આવાસ, સન્માન નિધિ દ્વારા મોદીજીએ ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે તેની પણ ભૂમિકા તેમણે આપી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારે નાનામાં નાના માણસોનું ધ્યાન રાખ્યું છે, ગરીબોની આશાને નવી પાંખો મળી છે. તેમનામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. મોદીજી જેવા પ્રભાવશાળી નેતા જ આ કરી શકે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજનાઓના સેચ્યુરેશનની નવતર પહેલ કરાવી અંત્યોદયથી સર્વોદયને સાકાર કર્યો છે અને સુશાસનની આગવી કેડી કંડારી તેઓ ગાંધીજી અને સરદાર સાહેબના સપનાનું ભારત બનાવી રહ્યા છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મળેલા લાભની વિસ્તૃત છણાવટ કરી હતી અને આ ગરીબ કલ્યાણ સંમેલનમાં ઉપસ્થિત કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને મળેલા લાભ અંગે વિગતો મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવા જે લાભાર્થી સાથે વાતચીત કરી તેમાં પોષણ યોજના, નલ સે જલ, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના તેમજ પી.એમ સ્વ-નિધિ યોજનાઓના કચ્છ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ જિલ્લાના લાભાર્થીઓ સાથે સહજ વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ લાભાર્થીઓ સહિત સૌ લાભાર્થીઓને અનુરોધ કર્યો કે, બાળકોને શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સહિતની યોજનાઓના લાભ લેવા પણ આગળ આવે અને વડાપ્રધાનશ્રીએ આપેલો ‘સૌના સાથ સૌના વિકાસ’નો મંત્ર સાકાર કરે.ગરીબ કલ્યાણ સંમેલનના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુશાસનના આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ શિમલા ખાતેથી કેન્દ્રની વિવિધ ૧૩ કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓ સાથે દેશવ્યાપી સંવાદ કર્યો હતો. જે અંતર્ગત વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મહેસાણાના PM મુદ્રાના લાભાર્થી સાથે પણ સંવાદ યોજ્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહાત્મા મંદિર ખાતે ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સાથે રાજ્યના વિવિધ જિલ્લા કેન્દ્રો પર મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ સંમેલન યોજાયા હતા. જેમાં લાભાર્થીઓ સાથેના આ કાર્યક્રમમાં સુરત ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબહેન જરદોસ, વડોદરા ખાતે વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર, ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા અને સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુજપુરા સહિત મંત્રીમંડળના સભ્યો અને રાજ્યભરમાંથી અંદાજે ૧ લાખ લાભાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાં સામાન્ય લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મુખ્ય ૧૩ યોજના અમલી બનાવી છે. આ યોજનાઓનો ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્તમ લોકોને લાભ મળે અને જીવન ધોરણમાં બદલાવ આવે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત ગ્રામીણ-શહેરી મિશન યોજના, પીએમ આવાસ યોજના, મનરેગા, પીએમ મુદ્રા યોજના, પીએમ વેલનેસ સેન્ટર, જલ જીવન મિશન, પીએમ ઉજ્જવલા યોજના અને વન નેશન વન રાશન સહિત અનેક યોજનાઓના મળેલા લાભોની વિગતવાર માહિતી આપી, બાકી રહેલા તમામ લાભાર્થીઓને યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ મુખ્ય સચિવશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર – અગ્ર સચિવ શ્રી સોનલ મિશ્રા અને અધિક ગ્રામ વિકાસ કમિશનર શ્રી વિશાલ ગુપ્તા તેમજ ગાંધીનગરના ઇન્ચાર્જ કલેકટર શ્રી સુરભી ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત રાજ્યભરમાંથી પદાધિકારીશ્રીઓ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.