મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો તેમની પાસે વાહન ચલાવતા શીખવા આવનારાઓમાં ટ્રાફિક અવેરનેસ, સુરક્ષિત-સલામત ડ્રાઇવિંગની જાગૃતિ દ્વારા રાષ્ટ્રસેવાનું દાયિત્વ નિભાવી શકે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરહદની રક્ષા કરતા સેનાનીઓ દુશ્મનથી દેશને સુરક્ષિત સલામત રાખે છે, એ જ પરીપાટીએ પદ્ધતિસરનું, સુરક્ષિત અને સલામત ડ્રાઇવિંગ વાહનચાલકોને શીખવી ડ્રાઇવિંગ સ્કૂલ એસોસીએશન પણ સમાજ જીવનને અકસ્માતની દુર્ઘટનાઓથી સુરક્ષિત રાખી માનવ જિંદગી બચાવી શકે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિયેશનના એન્યુઅલ નેશનલ કન્વેન્શનના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.
ડ્રાઇવીંગ સ્કુલ સંચાલકો વાહન ચલાવતા શીખવવા સાથે ટ્રાફીક અવેરનેસ, અને સુરક્ષિત સલામત ડ્રાઇવીંગની જાગૃતિ દ્વારા રાષ્ટ્રસેવાનું દાયિત્વ નિભાવી શકે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ : દેશના ૨૨ રાજ્યોના પ્રતિનિધિઓ સહભાગી થયા
વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી અરવિંદ રૈયાણી તેમજ એસોસિએશનના રાષ્ટ્રીય સ્તરના અને ગુજરાત રાજ્ય એકમના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પદાધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
દેશના ૨૨ રાજયો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોના ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિયેશનના પ્રતિનિધિઓ આ કન્વેન્શનમાં ભાગ લઈ રહ્યા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાફિક ડિસિપ્લિન અને રોડ સેફટીની સજાગતા એ બેય બાબતો ડ્રાઈવિંગ શીખવા માટે પાયામાં રહેલી છે, તેની ભૂમિકા આપી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સામાન્યતઃ અકસ્માત વાહન ચાલકની નાની ભૂલ, વધુ ઝડપ જેવી બાબતોથી સર્જાતા હોય છે અને ક્યારેક જીવલેણ પણ બની જાય છે.
આપણે એવો સંકલ્પ કરીએ કે સુરક્ષિત, સલામત, ગતિમર્યાદા સાથે અને વાહન ચાલનના નિયમોના પાલન સાથે વાહન ચલાવીશું તે પણ રાષ્ટ્રની એક પ્રકારે સેવા જ છે.
એવું મુખ્યમંત્રીશ્રીએ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિયેશનના સભ્યોને પ્રેરણા આપતાં ઉમેર્યું હતું.
વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી અરવિંદ રૈયાણીએ એસોસિએશનના વિવિધ રાજ્યના પદાધિકારીઓ અને કન્વેન્શનમાં ભાગ લઇ રહેલા સૌને ટ્રાફિક અવેરનેસ માટેની સજાગતા લોકોમાં કેળવવા અપીલ કરી હતી.
ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લાયસન્સ ઇસ્યુ, વાહન રજીસ્ટ્રેશન વગેરેમાં ઓનલાઇન સહિતની પદ્ધતિ અપનાવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.
આ અવસરે રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાના રાજ્યની પરંપરાગત કલાકૃતિની ભેટ આપીને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.