પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત અને ચીન વચ્ચેના સરહદી વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. વિવિધ રાજકીય પક્ષોના અધ્યક્ષોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. સશસ્ત્ર દળોની બહાદુરી આજે પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણે સૌ આપણા દેશની સરહદોનું રક્ષણ કરવા માટે અને આપણા સૈનિકોની સાથે એકજૂથ થઇને ઉભા છીએ અને તેમની હિંમત તેમજ બહાદુરમાં સૌને સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સર્વપક્ષીય બેઠકના માધ્યમથી, તેઓ તમામ શહીદ જવાનોના પરિવારોને વિશ્વાસ અપાવવા માંગે છે કે, સમગ્ર દેશ અત્યારે તમારી પડખે ઉભો છે. બેઠકની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, આપણી સરહદોમાં કોઇ આવ્યું નથી કે કોઇએ આપણી એકપણ પોસ્ટ પર કબજો જમાવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, આપણા વીસ બહાદુર જવાનોએ રાષ્ટ્ર માટે લદ્દાખમાં તેમનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે પરંતુ સાથે સાથે આપણી માતૃભૂમિ પર નજર કરવાની હિંમત કરનારાઓને બરાબરનો પાઠ પણ ભણાવ્યો છે. રાષ્ટ્ર આ જવાનોની બહાદુરી અને બલિદાનને હંમેશા યાદ રાખશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, LAC પર ચીને જે કૃત્ય કર્યું છે જેના કારણે સમગ્ર દેશ અત્યારે દુઃખી થયો છે અને ગુસ્સામાં છે. તમામ પક્ષોના નેતાઓને તેમણે ખાતરી આપી હતી કે, આપણા દેશની સુરક્ષા માટે આપણા સશસ્ત્ર દળો કોઇપણ પ્રકારે કસર છોડશે નહીં. વાત તૈનાતીની હોય, પગલાં લેવાની હોય કે પછી વળતો પ્રહાર કરવાની હોય, ભૂમિ, સમુદ્ર અથવા હવામાં, આપણા દળો આપણા દેશનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લઇ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણો દેશ અત્યારે એટલું સામર્થ્ય અને ક્ષમતા ધરાવે છે કે, કોઇપણ વ્યક્તિ આપણા દેશની એક ઇંચ જમીનમાં પણ આગળ આવવાની હિંમત કરી શકે તેમન નથી. તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારતીય દળો તમામ ક્ષેત્રોમાં સાથે મળીને આગળ વધવા માટે સક્ષમ છે. એક તરફ, સૈન્યને તમામ જરૂરી પગલાં લેવા માટે સંપૂર્ણ છુટ આપવામાં આવી છે ત્યારે સાથે સાથે, ભારતે રાજદ્વારી માધ્યમોથી પોતાની સ્થિતિ અંગે ચીનને સ્પષ્ટ જણાવી દીધું છે. સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત હંમેશા શાંતિ અને મૈત્રી ઇચ્છે છે પરંતુ આપણા સાર્વભૌમત્વની જાળવણી આપણા માટે સર્વોપરી છે. તેમણે એ વાત પર ખાસ પ્રકાશ પાડ્યો હતો કે, સરકારે સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે જેથી આપણી સરહદો વધુ સુરક્ષિત થઇ શકે. ફાઇટર પ્લેન, અદ્યતન હેલિકોપ્ટર, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને આપણા દળો માટે આવી અન્ય જરૂરિયાતો માટે પણ જોગવાઇ કરવામાં આવી છે. તાજેતરમાં જ વિકાસવવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી, LAC પર પેટ્રોલિંગની ક્ષમતા વધારવામાં આવી છે તેમ કહેતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારે આપણે LAC પર થઇ રહેલી હિલચાલથી વધુ માહિતગાર રહી શકીએ છીએ અને તેના કારણે વધુ બહેતર દેખરેખ રાખી શકીએ છીએ અને પ્રતિક્રિયા પણ આપવા માટે સમર્થ રહીએ છીએ. સરહદી વિસ્તારોમાં અગાઉ જે હિલચાલ કોઇપણ પ્રકારના અવરોધ વગર થઇ શકતી હતી તેના પર હવે આપણા જવાનો વધુ ચાંપતી નજર રાખી શકે છે, જેના કારણે આ તણાવની સ્થિતિ ઉભી થઇ છે. તેમણે નોંધ્યું હતું કે, બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી, દુર્ગમ વિસ્તારોમાં પણ આપણા જવાનો માટે આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો પહોંચાડવાનું અગાઉના સમયની સરખામણીએ ઘણું સરળ થઇ ગયું છે.…