પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં રૂ. 541 કરોડના ખર્ચની સાત શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો તે બદલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં રૂ. 541 કરોડના ખર્ચની સાત શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું તે બદલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, “2014થી, મોદી સરકાર બિહારના લોકોના કલ્યાણ અને રાજ્યના વિકાસ સંબંધિત કાર્યોમાં સમર્પિત રીતે કામ કરી રહી છે. બિહારમાં પાણીના પૂરવઠા, કચરાના નિકાલ અને ટ્રીટમેન્ટ તેમજ રીવરફ્રન્ટ વિકાસને લગતી રૂપિયા 541 કરોડના ખર્ચની શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાત પરિયોજનાઓનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું તે બદલ હું તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું.”

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “મોદી સરકારની વિકાસની આ પરિયોજનાઓ નાગરિકોને પીવાનું સ્વચ્છ પાણી અને બહેતર સફાઇ સુવિધા પૂરી પાડશે જેનાથી બિહારના મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે સુધારો આવી શકશે. મુઝફ્ફરપુર રીવરફ્રન્ટના કારણે પર્યટન અને પર્યાવરણ ક્ષેત્રને ખૂબ જ મોટો વેગ મળશે અને તે વધુ મજબૂત બનશે, તેનાથી લોકો માટે મોટાપાયે રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે.”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી સાત પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આમાંથી, ચાર પરિયોજનાઓ જળ પૂરવઠા સંબંધિત, બે પરિયોજનાઓ કચરાની ટ્રીટમેન્ટ સંબંધિત અને એક પરિયોજના રીવરફ્રન્ટ વિકાસને લગતી છે. આ તમામ પરિયોજનાઓનો અમલ બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ BUIDCO દ્વારા કરવામાં આવી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.