માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભાને દેશની આદર્શ લોકસભા બનાવવાનો વિશ્વાસ વ્યકત કરતાં શ્રી અમિતભાઇ શાહ

  આજે 10 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર શહેર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે રૂ. 15.01 કરોડના કામોનું લોકાર્પણ અને 119.6 કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

        શ્રી શાહે આ પ્રસંગે તેઓના વિડિયો કોન્ફરન્સ સંબોધનમાં ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અન્ય જિલ્લામાં પણ આ અનેક પ્રજાલક્ષી કાર્યો માટે ઉભી કરેલ વ્યવસ્થા અને તંત્ર દ્વારા ઉઠાવેલી જહેમત માટે આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું.

શ્રી શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રને સમગ્ર દેશમાં આદર્શ લોકસભા ક્ષેત્ર બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોએ મને જે પ્રચંડ બહુમતીથી જીતાડીને સંસદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે તે માટે હું મતદારોનો આભારી છું. તેઓએ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર લોકસભા ક્ષેત્રના નાગરિકોના સહકાર અને ભાગીદારીથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને આગવું સ્થાન આપવામાં આપણે સફળ થઇ શકીશું.

શ્રી શાહે જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ અગાઉ ક્યારે ન જોઈ હોય તેવી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે વિશ્વના અનેક દેશોમાં વિકાસની ગાડી થોડી ધીમી પડી છે. પરંતુ  કોરોના મહામારી વચ્ચે પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણયો અને સાતત્યપૂર્ણ કદમોના પરિણામે ગાંધીનગર, ગુજરાત અને સમગ્ર દેશ વિકાસ પથ પર સતત આગળ વધતો રહેશે.

        શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દૂરોગામી દ્રષ્ટિકોણના પરિણામે વિશ્વના અનેક શક્તિશાળી દેશોની સરખામણીમાં આપણે મહદંશે કોરોના સંક્રમણ અને સીમિત રાખવામાં અને તેની અસરો ઘટાડવામાં સફળ રહ્યા છીએ. આ છ વર્ષોમાં ભારત સ્વાવલંબી અને આત્મનિર્ભર બન્યું તથા સમગ્ર વિશ્વમાં ભારતની એક મજબૂત છબી ઉપસી આવી છે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વને આભારી છે. સાત દસકાઓથી વિકાસથી વંચિત રહેલા તમામ ક્ષેત્રોમાં આ ગેપ છ વર્ષમાં પૂરા કરવાની કટીબદ્ધતા સાથેના પ્રયાસ કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે.

        શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણો દેશ આ મહામારીમાંથી સફળતાપુર્વક બહાર આવીને વિકાસ પ્રક્રિયામાં પુન:અગ્રેસર બનશે. તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર અને કલોલમાં અંદાજીત કુલ રૂ. 15.01 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને 119.63 કરોડના ઈ-ખાતમૂહૂર્તના કારણે નાગરિકોના સુખ સુવિધાઓમાં વધારો થશે. સ્માર્ટ સીટી યોજના અન્વયે મહાનગરપાલિકા વિસ્તારમાં 538 લાખના ખર્ચે ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેક્ટ, નાગરિકોને સુવિધા પૂરી પાડવા 519 લાખના ખર્ચે પ્રોપર્ટી ટેક્ષ સર્વે એન્ડ બેઝમેન્ટ ક્રિએશન અપડેશન એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન જી.આઇ.સી.ના કારણે નાગરિકોના કચેરીના ધક્કા ઓછા થશે અને પારદર્શક તથા લોકભિમુખ વહીવટમાં મદદરુપ  થશે.

        શ્રી શાહે સ્વાસ્થ્યની કાળજી લેવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે, નાગરિકોની તંદુરસ્તી અને સુખાકારીને પ્રાધાન્ય આપવું એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત બની છે. જે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 435 લાખના ખર્ચે સેકટર–2, 7/એ અને 9ના તથા અન્ય સેક્ટરોના નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓ આ ઉદેશ્યમાં ઉપયોગી બનશે. તેમજ સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડ્સ એન્ડ એપ્રોચ રોડ્સની સુવિધાઓના લીધે નાગરિકોના આવાગમનમાં સરળતા થશે. અને આદરજ મોટી ખાતે રૂપિયા 90 લાખથી વધુના ખર્ચે કન્યાશાળામાં 11 વર્ગખંડ બનાવવામાં આવનાર છે. તેમજ મોટી ભોયણ ગામે શાળા નંબર – 1માં રૂપિયા 33 લાખ જેટલા ખર્ચે નવા 4 વર્ગ ખંડનું કામ થનાર છે. જેના પરિણામે શિક્ષણની સુવિધાઓ વધવાથી શિક્ષણનો વ્યાપ વધશે અને કન્યા કેળવણીને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી,સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને પીંડારડા ગામમાં લોકસુખાકારી અને વિકાસના 23 કામો રૂપિયા 50 લાખના ખર્ચે કરવામાં આવનાર છે. જેમાં આંગણવાડીની કંપાઉન્ડ વોલ, સી.સી. રોડ, સ્મશાન પેવર બ્લોક, ગટરલાઇન, સંરક્ષણ દિવાલ, ધોબીધાટ, પાણીની પાઇપલાઇન, શાળામાં શેડ જેવા વિવિધ કામો કરવામાં આવનાર છે. સાર્વત્રિક રીતે વિકાસના નવા આયામોનો પ્રત્યક્ષ લાભ પ્રજાજનોને મળશે સાથે-સાથે લોકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવશે

        શ્રી શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “વિશ્વમાં માનવ જાતે કદી ન જોયું હોય તેવા કોરોના સંકટનો સામનો કર્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં આપણે ઉદાહરણરૂપ કહી શકાય તેવી સુનિયોજિત લડાઇ લડ્યા છીએ. ગુજરાતમાં વિદેશથી આવનારા લોકો વધુ હતા પણ રાજ્યએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં લડાઇ લડી છે. ગુજરાતે મક્કમતાથી કોરોનાની સ્થિતિમાં સુધારો કર્યો છે. રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર નીચો આવ્યો છે અને સાજા થયેલ લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. પણ લડાઇ હજુ સમાપ્ત નથી થઇ. કોરોના સામે જનજાગૃતિ જે એક માત્ર રસ્તો છે, જ્યાં સુધી વૈજ્ઞાનિકો તેની રસી અને દવા ન શોધે ત્યાં સુધી આપણે આ સંકટ સામે લડવાનું છે. દેશમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના તથા ગુજરાતમાં શ્રી વિજયભાઇ અને શ્રી નિતિનભાઇના નેતૃત્વમાં સફળતાપૂર્વક લડાઇ લડી છે. જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી જનજાગૃતિ એક માત્ર ઉપાય છે.

        ગાંધીનગર વિસ્તારના લોકોને હું અપીલ કરું છું કે, “આપણે વધુમાં વધુ જાગૃત રહીએ, ઓછામાં ઓછું બહાર નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, જેટલું થાય તેટલું ઇ-લોકાર્પણ કરીએ. આપણે વહીવટી પ્રક્રિયાને ધીમી ન થવા દઇએ. વિકાસ પણ ચાલે, વહીવટી કામો પણ ચાલે અને કોરોનાથી બચવાનો સફળ રસ્તો પણ અખત્યાર થાય એ રીતે કામ આગળ ધપાવીએ.”

        શ્રી અમિતભાઇ શાહે કોરોના મહામારી દરમિયાન જરૂરીયાતમંદ પરિવારો સુધી રાશન કીટ, સેનેટાઇઝર, માસ્ક તેમજ દવાઓ પહોંચાડી માનવતાની સુવાસ ફેલાવનાર ભાજપાના સહુ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કર્યો હતો.

        રૂપાલ ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયના નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નવા ભારત, આધુનિક અને આત્મનિર્ભર ભારત, સમૃધ્ધ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત રાજય હંમેશા અગ્રેસર રહી અવરિત વિકાસ કૂચ પર આગળ વધી રહ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી માનનીયશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં પ્રજાકલ્યાણના કામો અને સર્વાંગી વિકાસને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ હરહમેંશ અગ્રિમતા આપી છે.

        ઓનલાઇન વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી ત્રણ સ્થળો ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલ અને ભૂપેન્દ્રભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નાઝાભાઇ ધાંધલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્યશ્રી અશોકભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાલિની દુહાન, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.એમ.જાડેજા, આયોજન અધિકારી શ્રી એન.જી. પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.