કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શેરી વિક્રેતાઓના લાભ માટે મોદી સરકાર દ્વારા સંચાલિત ‘પીએમ સ્વનિધિ’ની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં શેરી વિક્રેતાઓ સાથે ‘સ્વનિધિ સંવાદ’નું આયોજન કર્યું હતું. શ્રી અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભારતના વિકાસ માટે દરેક નાગરિકના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાજના તમામ વર્ગોનું ઉત્થાન કરવા કટિબદ્ધ છે. પીએમ-સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓના જીવનનું ઉત્થાન કરવાનો છે, જે પ્રધાનમંત્રીના દૂરંદેશીપણાનું પરિણામ છે અને એમની સંવેદનશીલતા ગરીબોના કલ્યાણ માટે છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, “પીએમ-સ્વનિધિ યોજના કોવિડ-19ના આ મુશ્કેલ સ્થિતિસંજોગો દરમિયાન કરોડો ગરીબ લોકોને આજીવિકાના માધ્યમો પૂરાં પાડવા માટે શરૂ કરવામાં આવી છે.” આ મહત્ત્વપૂર્ણ કલ્યાણકારક યોજના બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનીને શ્રી અમિત શાહે કહ્યું હતું કે, “પીએમ સ્વનિધિ નાનાં વ્યવસાયોને આત્મનિર્ભર બનાવે છે અને નવા ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
ભારત સરકારે 1 જૂન, 2020ના રોજ પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જેનો આશય કોવિડ-19થી માઠી અસર પામેલા શેરી વિક્રેતાઓને આજીવિકાની પ્રવૃત્તિ ફરી શરૂ કરવા માટે મદદ કરવાનો છે. આ યોજના 50 લાખથી વધારે શેરી વિક્રેતાઓને લાભ આપશે. આ યોજના અંતર્ગત વિક્રેતાઓ રૂ. 10,000 સુધીની કાર્યકારી મૂડીગત લોનનો લાભ મેળવી શકે છે, જે એક વર્ષની મુદ્દતમાં માસિક હપ્તામાં ચુકવણીને પાત્ર છે. લોનની સમયસર/વહેલાસર ચુકવણી પર ત્રિમાસિક ધોરણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં વર્ષે 7 ટકાની વ્યાજમાં સહાય જમા થશે. લોનની વહેલાસર ચુકવણી પર કોઈ પેનલ્ટી લાગશે નહીં. આ યોજના દર મહિને રૂ. 100 સુધી કેશ બેક પ્રોત્સાહન દ્વારા ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે. ઉપરાંત વિક્રેતાઓ લોનની સમયસર/વહેલાસર પુનઃચુકવણી પર ધિરાણની મર્યાદા વધારવાની સુવિધાનો લાભ લઈને આર્થિક પ્રગતિ કરવાની આકાંક્ષા પૂરી કરી શકે છે.