હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી વચ્ચે ભારત સરકારે પોતાની પહોંચને આગળ ધપાવવાના ભાગરૂપે, ભારતીય નૌસેનાનું જહાજ ‘કેસરી’ માલદીવ્સ, મોરેશિયસ, સેશેલ્સ, મડાગાસ્કર અને કોમોરોડ્સને સહાય માટે ખાદ્યચીજો, HCQ સહિત કોવિડ સંબંધિત દવાઓ અને વિશેષ આયુર્વેદિક દવાઓ તેમજ મેડિકલ સહાય ટીમ સાથે 10 મે 2020ના રોજ રવાના કર્યું હતું. ‘મિશન સાગર’ના ભાગરૂપે ભારતે આ પ્રદેશમાં પ્રથમ પ્રતિભાવક તરીકે પોતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ દેશોમાં કોવિડ-19 મહામારી સામેની લડાઇ અને તેના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓમાં સહાય માટે આ જહાજ રવાના કર્યું છે જેનાથી આ દેશો સાથેના શ્રેષ્ઠ સંબંધો વધુ ઘનિષ્ઠ થયા છે.
‘સાગર’ પ્રદેશમાં તમામ દેશોની સલામતી અને વિકાસની પ્રધાનમંત્રીની દૂરંદેશીને અનુરૂપ આ જહાજ મોકલવામાં આવ્યું છે અને પડોશી દેશો સાથે ભારતે કેળવેલા સંબંધોના મહત્વ પર તે પ્રકાશ પાડે છે અને વર્તમાન સંબંધોને વધુ મજબૂત કરે છે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે નીકટતાપૂર્વક સંકલન સાથે આગળ વધી રહ્યું છે.
મિશન સાગરના ભાગરૂપે, ભારતીય નૌસેનાનું જહાજ ‘કેસરી’ 600 ટન ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે માલદીવ્સ પ્રજાસત્તાકના માલે બંદર પર પહોંચશે. ભારત અને માલદીવ્સ ખૂબ જ નજીકના સમુદ્રી પડોશીઓ છે અને ખૂબ જ મજબૂત તેમજ ઉત્સાહપૂર્ણ સંરક્ષણ અને રાજદ્વારી સંબંધો ધરાવે છે.